शनिवार, 17 अगस्त 2013

રાધાએ કહ્યું

રાધાએ કહ્યું ઃ


''નારદજી - જો મારા પગ નીચેથી ધૂળથી કાનજીના પેટનો દુઃખાવો મટી જતો હોય તો એક ભવ તો શું સાત સાત ભવ સુધી નરકની યાતના ભોગવવા હું તૈયાર છું.''
રાજા હરિશ્ચંદ્ર, દાનમાં દાનેશ્વરી કર્ણ, રાજનીતિમાં ચાણક્ય, બાણવિદ્યામાં બાણાવળી અર્જુન, ક્રોધમાં દુર્વાસા અને ભક્તિમાં શ્રી હનુમાનજીનાં નામો ફટાફટ બધાના મોંઢે આવી જાય. તો પ્રેમમાં પ્રથમ નંબર કોનો આવે? આ પ્રશ્નના જવાબમાં કબીર સાહેબ આપણી મદદે આવે છે ઃ
કબીરા કબીરા ક્યા કરો,
જાઓ જમના કે તીર,
એક રાધા કે પ્રેમમેં,
બહ ગયે લાખ કબીર.
રાધા એટલે પ્રેમની ધારા. પ્રેમ કશું લેતો નથી, પ્રેમ કશું આપતો નથી, પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે એ વ્યાખ્યા રાધાએ સાબિત કરી બતાવી. ઝંખના અને ઝુરાપો એ બંનેનો સરવાળો કરો એટલે રાધા. પ્રેમ, ભક્તિ, કરુણા, વિરહ, રીસામણાં, સૌંદર્ય અને ગીતના ગુણાકાર કરો અને જે જવાબ આપે તે રાધા. સ્વાર્થ, કપટ, છળ, દોષ અને ભુલોના ભાગાકાર કરી નાખો પછી 'શેષ'-માં જે શૂન્ય આવે એનું નામ જ રાધા. 'શૂન્ય'- એ પૂર્ણ છે. વેદો સાક્ષી પૂરે છે ઃ-
ઁ પૂર્ણમદઃ પૂર્ણમિદં,
પૂર્ણાત્ પૂર્ણમ્ ઉદચ્યતે,
પૂર્ણસ્ય પૂર્ણમાદાયા,
પૂર્ણમ્ એવાવશિષ્યતે.
પૂનમના પૂર્ણ ચંદ્ર જેવો શુદ્ધ પ્રેમ, સ્વાતિ નક્ષત્રના વર્ષાબિંદુ માટે છીપની પ્રતીક્ષા જેવો આશાવાદ, કોયલ અને મયૂરના ટહુકા જેવી સો ટચના સોના જેવી મધુરિમા, પહેલા પહેલા વરસાદની માટીની મધમધતી ફોરમ જેવી સુગંધનો દરિયો અને કેસૂડાની લાલિમા આ બધું ભેગુ થાય ત્યારે જે આકાર સદેહે સાકાર ઔથાય તે રાધા.
છે ઘણા એવા કે યુગને પલવાટી ગયા,
બહુ ઓછા છે કે જે પ્રેમમાં ફાવી ગયા.
બહુ ઓછા છે એમાં રાધાનો સમાવેશ થાય છે. પ્રેમ કરી શકાતો નથી - એ થઈ જાય છે. આઠ આઠ મહાપટરાણીઓ હોવા છતાં શ્રીકૃષ્ણની આગળ જે ''રાધા-કૃષ્ણ'' - શબ્દ લાગ્યો એ પ્રેમની પરાકાષ્ટાનો પુરાવો છે - માટે જ સૌ કહે છે ને કે ઃ
બિન રાધે, શ્રીકૃષ્ણ આધે
રાધા શ્રીકૃષ્ણના પ્રેમમાં ઓતપ્રોત કેટલી હદે હતી તે આવો એક ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ. તમે નદિ કિનારે સાક્ષીભાવે બેઠા છો. તમે નદીને પ્રશ્ન પૂછો છો કે હે! તું ક્યાં જાય છે? નદી જવાબ આપે છે ઃ હું સાગરને મળવા જઉં છું. તમે કહો છો કે હે નદી તું સાગરને મળવા ભલે ખુશીથી જા, પરંતુ સાગરને મળ્યા પછી ફરી અહીં પાછી આવીને મને તું એટલું તો કહી જજે કે સાગર કેવો છે? નદી સાગરમાં ભળી ગઈ. પોતાનું સમગ્ર અસ્તિત્ત્વ સાગરમાં ભેળવી દીધું. હવે એ નદી ખુદ નદી નથી પણ ખુદ સાગર બની ગઈ. રાધા આ રીતે શ્રીકૃષ્ણમય બની પ્રેમના દરિયામાં ગરકાવ થઈ ગઈ. સાગરમાં ભળી ગયેલી નદીને પછી પ્રેમ અલગ નથી કરી શકતી એમ પછી રાધાને શ્રીકૃષ્ણથી અલગ કરી શકાતી નથી. આને કહેવાય પ્રેમ. કોઈ શાયરે એટલે જ કહ્યું છે ને કે ઃ
યે ઈશ્ક નહીં આસાન,
ઈતના તો સમજ લીજે,
એક આગકા દરિયા હૈ
ઔર ડૂબકે જાના હૈ!!
રાધામાં ગુલાબના પુષ્પોની ગરિમા હતી, મોગરાની મહેંક હતી, પારિજાતના પુષ્પોની પવિત્રતા હતી, કમળ જેવી નિર્લેપતા હતી, લજામણીના છોડ જેવી નજાકત હતી, સૂર્યમુખી જેવી પ્રતિભા હતી, રાતરાણી જેવો ઠસ્સો હતો, જાસૂદ જેવું જીવન હતું એ બધા અર્થમાં રાધા ખુદ પ્રેમનું એક પુષ્પ હતી, જેની સુવાસ હજારો વર્ષો પછી સંસ્કાર અને સંસ્કૃતિ સ્વરૃપે આજે પ્રસરી રહી છે. એનો સાંવરિયો હતો પણ એવો. કેવો?
સાંવરિયો રે મારો સાંવરિયો,
હું તો ખોબો માગું ને એ દઈ દે દરિયો...
સામા પક્ષે શ્રીકૃષ્ણ પણ એવા જ હતા ને! પ્રેમનો થનગનાટ બંને પક્ષે  હતો. એક સૂર અને એક તાલ. એક થડ અને એક ડાળ. આ એવો પ્રેમ હતો જ્યાં જ્ઞાાન પાણી ભરે.
હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં
જ્ઞાાન ઓછાં છે,
ન પરવા માનની,
તો યે બધાં સન્માન ઓછાં છે.
રાધા અને કૃષ્ણનો પ્રેમ એવો છે જેની કોઈ વ્યાખ્યા જ નથી કારણ કે વ્યાખ્યાનું બંધન પ્રેમને નડતું નથી. રાધાને સમજવા કૃષ્ણથી આઘા ન જવાય અને રાધાના પ્રેમને તો જગતની કોઈ બાધા નડી જ નથી. રાધા જેવો પ્રેમ પામવા અને આપવા બાધા (માનતા) રાખવી પડે એવા વિધાતાના લેખ જેવી રાધાને વંદન કરવા ઘટે.

शुक्रवार, 8 मार्च 2013

નટરાજ અને તાંડવનૃત્ય

૧. નટરાજ ઃ શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા. 'એકાદી નિશ્ચિત ઘટના અથવા વિષય અભિવ્યક્ત કરવા માટે જે અંગચાલન કરવામાં આવે છે તેને નટન અતવા નાટય' એવી સંજ્ઞાા છે. આ નટન જે કરે છે તે નટ છે. નટરાજ આ રૃપમાં શિવજીએ નાટયકળા પ્રવર્તિત કરી, એવી પારંપારિક ધારણા છે. શિવજી એ આદ્યનટ છે એવી શ્રદ્ધા હોવાથી તેમને 'નટરાજ'નું એ બિરુદ મળ્યું છે. 'બ્રહ્માંડ આ નટરાજની નૃત્યશાળા છે. તેઓ જે રીતે નર્તક છે, તે રીતે તેઓ તેના સાક્ષી પણ છે જ્યારે તેમનું નૃત્ય ચાલુ થાય છે, ત્યારે તે નૃત્યના ઝંકારથી સમગ્ર વિશ્વ વહેવારને વેગ મળે છે અને જ્યારે તેમનું નૃત્ય વિરામ પામે છે ત્યારે તેઓ આ ચરાચર વિશ્વને પોતાનામાં સમાવી લઈને એકલા જ આત્માનંદમાં નિમગ્ન થઈને રહે છે.' એવી નટરાજ કલ્પના પાછળની ભૂમિકા છે. નટરાજનું નૃત્ય આ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ (માયાનું આવરણ) અને અનુગ્રહ (માયામાંથી બહાર પડવા માટે કૃપા) આ પાંચ ઇશ્વરી ક્રિયાઓનું દ્યોતક માનવામાં આવે છે.
૨. તાંડવનૃત્ય ઃ શિવજીએ પોતે પહેલા કરેલું ઉદ્ધત નૃત્યનું સ્મરણ કરીને તે પોતાના ગણોમાંના અગ્રણી રહેલા તંડૂ દ્વારા ભરતમુનિને બતાવ્યું. તે જ રીતે લાસ્ય આ નૃત્ય પણ પાર્વતી દ્વારા બહોળી રુચિથી ભરત સામે કરી બતાવ્યું. લાસ્ય આ સ્ત્રી નૃત્ય છે અને તેમાં હાથ મુક્ત હોય છે. તંડુએ કરી બતાવ્યું તે તાંડવ, એવું સમજીને ભરત ઇત્યાદિ મુનિઓએ તે નૃત્ય માનવોને શીખવ્યું. જે નૃત્યના સમયે શરીરમાંના ભુવનોનો, એટલે પ્રત્યેક પેશીનો નાદ શિવકારક હોય છે, તેને 'તાંડવનૃત્ય' કહે છે. આ પુરુષ નૃત્ય હોય છે અને મુદ્રાંકિત હોય છે. ઉદા. જ્ઞાાનમુદ્રા- અંગૂઠો અને તર્જનીનું ટેરવું એકબીજાને જોડવું એનાથી ગુરુ અને શુક્રના ઉભાર જોડાઈ જાય છે એટલે પુરુષ અને સ્ત્રી જોડાઈ જાય છે.
આ નૃત્યના સાત પ્રકાર છે, જે આ પ્રમાણે ૧. આનંદ તાંડવ, ૨. સંધ્યા તાંડવ (પ્રદોષનૃત્ય), ૩. કાલિકા તાંડવ, ૪. ત્રિપુર તાંડવ, ૫. ગૌરી તાંડવ, ૬. સંહાર તાંડવ અને ૭. ઉમા તાંડવ - આ સાત પ્રકારમાંથી સંધ્યા તાંડવનું વર્ણન શિવપ્રદોષ (એટલે પ્રદોષ) સ્તોત્રમાં આવ્યું છે, તે આ રીતે ત્રૈલોક્યજનની ગૌરીને રત્નજડિત સિંહાસન પર બેસાડીને શિવજી સંધ્યા સમયે આ નૃત્ય કરવા લાગે છે. જ્યારે શિવજી નૃત્ય માટે સિદ્ધ થાય છે તે સમયે સરસ્વતી વીણા વગાડે છે, ઇંદ્ર વાંસળીમાંથી સ્વર છેડે છે, બ્રહ્મા તાલ આપે છે, લક્ષ્મીજી ગીત ગાય છે, શ્રી વિષ્ણુ મૃદંગ વગાડે છે અને બધા દેવદેવતા આજુબાજુ ઉભા રહી આ નૃત્યદર્શનનો ઉત્સવ અનુભવે છે. આ નૃત્યમાં શિવજીનું સ્વરૃપ દ્વિભુજ હોય છે અને તેમના પગ નીચે દૈત્ય કચડાઈ જતો હોવાનું દ્રશ્ય હોતું નથી.
ઉપર દર્શાવેલા સાત પ્રકારો પૈકી ગૌરીતાંડવ અન ઉમાતાંડવ આ બન્ને ઉગ્ર સ્વરૃપના નૃત્યો છે. આ નૃત્યોમાં શિવજી ભૈરવ અથવા વીરભદ્રના સ્વરૃપમાં હોય છે, તેમની સાથે ઉમા અથવા ગૌરી હોય છે અને તે બળતી ચિતાઓથી યુક્ત એવી સ્મશાનભૂમિમાં ભૂતગણોની સહાયતાથી આ ભયાનક નૃત્યો કરે છે.
નટરાજના સાત્ત્વિક નૃત્ય પ્રકારોમાં સંધ્યાનૃત્ય પ્રમાણે જ નાદાન્તનૃત્ય ઘણું પ્રસિદ્ધ છે. ચિદમ્બરમ સ્થિત જગવિખ્યાત નટરાજ મૂર્તિ એ જ નૃત્યના આવિર્ભાવમાં છે. શૈવ અને શાક્ત સંપ્રદાયના લોકો આ નૃત્યોને વિશિષ્ટ તત્ત્વોના પ્રતીક માને છે. તેમની ધારણા અનુસાર આવા સંહારક ઉગ્ર નૃત્યના સમયે શિવજી કેવળ જગતનો પ્રલય કરાવીને થોભતા નથી, જ્યારે તેઓ જીવોના બંધ પણ નષ્ટ કરે છે. જ્યાં જીવોનો અહંકાર ભસ્મસાત થઈ જાય છે, એવી અવસ્થાનું પ્રતીક એટલે સ્મશાનભૂમિ છે; માટે ત્યાં આ નૃત્ય કરવામાં આવે છે શિવજી તાંડવ નૃત્ય કરતી વેળાએ તેમને સાથ આપવા માટે દેવ અને અસુર સરખા જ આતુર હોય છે.

શ્રીફળ

દેવ મંદિરે જઈએ ત્યારે દરવાજા પાસે એક પત્થર શ્રીફળ વધેરવા માટે નિયત કરેલ હોય છે. ૫૦ શ્રીફળ સારા નીકળે પણ તેમાંથી બે ચાર શ્રીફળ સડેલાં, બગડેલા પેલા પત્થરની આજુબાજુ પડેલાં દેખાશે જેમાંથી દુર્ગંધ આવતી હોય છે.
વેપારીને ત્યાંથી ખરીદતી વખતે વેપારી કોઈ ગેરેન્ટી આપતો નથી તે કહેશે તમારે હાથે તપાસ કરી લઈ જાઓ. આપણે શ્રીફળ કોથળામાંથી નાનાં મોટાં શ્રીફળ તપાસીએ પાણી છે કે નહિ તેની તપાસ કરવા કાન ઉપર રાખી હલાવીએ ત્યારે અંદર રહેલું પાણી બોલે, 'સારું છે લઈ જાઓ' બાજુમાં ઉભેલો બીજો ગ્રાહક કહે સારું છે લઈ જાઓ શ્રીફળના છોતરા, તેની આંખો બધું બરાબર હોવા છતાં અંદર કેવું હશે તેની કોઈને ખબર નથી હોતી અને પ્રેમથી શ્રદ્ધાથી પ્રભુને અર્પણ કરવા આ શ્રીફળને થાળીમાં મૂકી પહોંચ્યા મંદિરે દરવાજામાં સૂચના છે 'શ્રીફળ અહિં વધેરવા' અને પેલા પત્થર સુધી શ્રીફળ પહોંચી ગયું એક હાથ ઊંચો કરી જોરથી ફટકો મારતાં અંદરનું ગંદુ બગડેલું પાણી બહાર આવ્યું. આમ આ બગડેલું શ્રીફળ મંદિર સુધી પહોંચવામાં સફળ રહ્યું પણ મંદિરના દેવ જાણે છે એ શ્રીફળ કેવું હતું પણ પ્રભુ એવા બગડેલા. શ્રીફળને મંદિરમાં આવવા દેતા નથી કારણ બહાર મૂકેલો પેલો પત્થર સાચા ખોટાની પરીક્ષા કરી સાચા સારા શુદ્ધ શ્રીફળને જ મંદિરમાં જવા દે છે.
આપણા સૌમાં કોઈ કોઈ પેલા શ્રીફળ જેવા જ લોકો છે એ ભગવાન જાણે છે ઉપરથી પવિત્ર દેખાતા કપાળે તિલક કરેલા તુલસીની માળા પહેરી પાખંડી સાધુ બાવાઓ જલદી ઓળખાતા નથી અને તેમના પાખંડ ચાલે છે ઘણા અંધ શ્રદ્ધાળુઓ તેમની પાછળ દોડે છે અને જ્યારે એ બગડેલા શ્રીફળો પત્થર ઉપર પટકાય ત્યારે ભંડો ફૂટે છે. કોઈ બે નંબરીયા વેપારીઓ, લાંચીયા અમલદારો ભ્રષ્ટાચારી નેતાઓ ઘી માવો અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી ધાર્મિક ઢોગ કરી મંદિર સુધી પહોંચે છે આ સડેલા શ્રીફળો ક્યારેક તો તેમની પોલ ખૂલે છે અને આ બગડેલા શ્રીફળ મંદિર સુધી પહોંચવા છતાં પ્રભુ પામી શકતા નથી. આત્મ સાક્ષાત્કાર કરી શકતા નથી. અરે, એવા પાખંડીઓમાંથી કેટલાક ભગવાનના મંદિરોમાં ચોરીઓ પણ કરે છે અને છેવટે પકડાઈ જેલની હવા પણ ખાય છે. આ બગડેલા શ્રીફળ હવે આપણે પેલા બગડેલા શ્રીફળ જેવા થવું છે કે શુદ્ધ પવિત્ર થઈ પ્રભુ ચરણે શીશ નમાવવું છે તે પોતે જ નક્કી કરવાનું છે. પણ જો ધ્યાન રાખશો બગડેલા શ્રીફળ પેલા પત્થર સુધી જ પહોંચે છે દરવાજાની અંદર પહોંચતા નથી અને જીંદગીભર પ્રભુદર્શનથી વંચીત જ રહે છે.